ચક્રવ્યૂહમાં અભિમન્યુનો વધ - મહાભારતની કથા Killing of Abhimanyu in Chakravyuh - Story of Mahabharata
કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે 18 દિવસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. એક તરફ ધર્મ માટે લડનારા પાંડવો હતા, તો બીજી તરફ છળ કપટ અને દગો કરવામાં માહિર કૌરવો. તેઓએ છળથી યુદ્ધ જીતવા માટે એક રણનીતિ બનાવી. તેમની યોજના હતી કે તેઓ અર્જુનને યુદ્ધમાં ફસાવીને ચારેય ભાઈઓથી દૂર લઈ જશે અને પછી યુધિષ્ઠિરને બંદી બનાવીને યુદ્ધ જીતી લેશે. હવે યુદ્ધના દિવસે કૌરવ સેનાની એક ટુકડી અર્જુન સાથે યુદ્ધ કરતી વખતે તેને રણભૂમિથી દૂર લઈ ગઈ. ત્યાં જ ગુરુ દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને બંદી બનાવવા માટે ચક્રવ્યૂહની રચના કરી, જ્યારે પાંડવોમાં માત્ર અર્જુનને ખબર હતી કે ચક્રવ્યૂહને કેવી રીતે તોડવું.
અર્જુનના દૂર જતા જ ગુરુ દ્રોણાચાર્યે પાંડવોને પડકાર ફેંકતા કહ્યું કે કાં તો યુદ્ધ લડો અથવા હાર માની લો. યુદ્ધના નિયમ અનુસાર યુદ્ધ લડવું જરૂરી હતું. જો યુદ્ધ ન કરતા તો પણ હારી જાત અને યુદ્ધ કરતા તો પણ હાર નિશ્ચિત હતી. હવે ધર્મરાજ યુધિષ્ઠિરને કંઈ સૂઝી રહ્યું ન હતું કે શું કરવું અને શું ન કરવું. તે જ સમયે ધર્મરાજ યુધિષ્ઠિરની સામે એક યુવક ઊભો થયો અને કહ્યું, “કાકાશ્રી, મને ચક્રવ્યૂહ તોડવા અને યુદ્ધ કરવાના આશીર્વાદ આપો.” આ યુવક બીજું કોઈ નહીં, પરંતુ અર્જુનનો પુત્ર અભિમન્યુ હતો. અભિમન્યુ હજી માત્ર 16 વર્ષનો જ હતો, પરંતુ બધા જાણતા હતા કે તે યુદ્ધ કૌશલ્યમાં પોતાના પિતા જેવો જ નિપુણ છે.
યુધિષ્ઠિરે અભિમન્યુને ના પાડી, પરંતુ અભિમન્યુ માન્યો નહીં અને તેણે કહ્યું, “મને ચક્રવ્યૂહ તોડતા આવડે છે. જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો, ત્યારે પિતાએ માતાને ચક્રવ્યૂહ તોડવાની રીત બતાવી હતી. બસ ત્યારે જ મેં તે શીખી લીધું હતું. હું આગળ રહીશ અને તમે બધા મારી પાછળ-પાછળ આવજો.” હાર માનીને યુધિષ્ઠિરે અભિમન્યુની વાત માની લીધી અને બધા યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. સૌથી આગળ અભિમન્યુ હતો અને બાકીના બધા તેની પાછળ. અભિમન્યુને રણક્ષેત્રમાં જોઈને કૌરવો મજાક ઉડાવવા લાગ્યા કે આ નાનો બાળક શું યુદ્ધ કરશે, પરંતુ જ્યારે તેમણે અભિમન્યુના યુદ્ધ કૌશલ્યને જોયું, તો તેમના પરસેવા છૂટી ગયા.
આગળ વધતાં અભિમન્યુએ દુર્યોધનના પુત્ર લક્ષ્મણને મારી નાખ્યો અને ચક્રવ્યૂહમાં પ્રવેશ કરી ગયો. તેને ચક્રવ્યૂહમાં પ્રવેશ કરતા જ સિંધુના રાજા જયદ્રથે ચક્રવ્યૂહનો દરવાજો બંધ કરી દીધો, જેથી ચારેય ભાઈઓ ચક્રવ્યૂહમાં પ્રવેશી ન શકે. અભિમન્યુ આગળ વધતો જઈ રહ્યો હતો. તેણે એક પછી એક બધા યોદ્ધાઓને હરાવી દીધા, જેમાં સ્વયં દુર્યોધન, કર્ણ અને ગુરુ દ્રોણ પણ સામેલ હતા. કોઈને કોઈ ઉપાય સમજાતો ન હતો, ત્યારે કૌરવોના બધા મહારથીઓએ એકસાથે મળીને અભિમન્યુ પર હુમલો કરી દીધો.
કોઈએ તેનું ધનુષ્ય તોડી નાખ્યું, તો કોઈએ રથ. તેમ છતાં અભિમન્યુ રોકાયો નહીં. તેણે રથનું પૈડું ઉપાડીને યુદ્ધ કરવાનું શરૂ કરી દીધું. મોટા-મોટા મહારથીઓ સાથે વીર અભિમન્યુ એકલો લડતો રહ્યો, પરંતુ તે એકલો ક્યાં સુધી લડે. અંતમાં બધાએ મળીને તેની હત્યા કરી દીધી, અને અભિમન્યુ વીરગતિને પ્રાપ્ત થયો. અભિમન્યુના મૃત્યુ પછી અર્જુને પ્રતિજ્ઞા લીધી કે તે બીજા દિવસે યુદ્ધમાં જયદ્રથનો વધ કરી દેશે. આજે શૂરવીર અભિમન્યુનું નામ કર્ણ અને અર્જુનથી પણ પહેલા સન્માન સાથે લેવામાં આવે છે.