મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને ફરી એકવાર રાજકીય ભૂકંપ આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીના એક નિવેદને રાજ્યમાં મરાઠી અસ્મિતાના મુદ્દાને ગરમાવ્યો છે. શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભૈયાજી જોશીના નિવેદનને મહારાષ્ટ્રના સન્માન પર હુમલો ગણાવીને દેશદ્રોહનો કેસ દાખલ કરવાની માંગ કરી છે. જ્યારે, મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ કડક પ્રતિક્રિયા આપી અને ભાજપને આ મુદ્દા પર સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે.
ભૈયાજી જોશીએ શું કહ્યું હતું?
ભૈયાજી જોશીએ તાજેતરમાં ઘાટકોપરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે "મુંબઈમાં રહેવા માટે મરાઠી શીખવું જરૂરી નથી. અહીં ગુજરાતી બોલનારા પણ સરળતાથી પોતાનું કામ ચલાવી શકે છે." તેમના આ નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં હોબાળો મચી ગયો છે.
ઉદ્ધવ ઠાકરેનો તીખો પ્રહાર
ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન પર ભૈયાજી જોશીને આડે હાથ લઈને કહ્યું, "જો મરાઠી મહારાષ્ટ્રમાં જરૂરી નથી, તો પછી ક્યાં જરૂરી હશે? જે લોકો આપણી ભાષા અને સંસ્કૃતિને ઓછી આંકવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને મહારાષ્ટ્રની જનતા જવાબ આપશે." તેમણે આગળ કહ્યું કે "ભૈયાજી જોશી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ, કારણ કે આ નિવેદન મહારાષ્ટ્રની અસ્મિતા અને તેના ગૌરવ પર સીધો પ્રહાર છે."
રાજ ઠાકરેએ ભાજપને પૂછ્યો સવાલ
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ આ વિવાદાસ્પદ નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા ભાજપને ઘેર્યું. તેમણે કહ્યું, "જો આ જ નિવેદન કોઈ અન્ય રાજ્યમાં આપવામાં આવે, તો ત્યાંની સરકાર અને રાજકીય પક્ષો ચુપ નહીં રહે. મહારાષ્ટ્રમાં ભાજપ આ પર ચુપ કેમ છે? શું તેઓ ભૈયાજી જોશીના આ વિચારનું સમર્થન કરે છે?"
રાજ ઠાકરેએ ભૈયાજી જોશીને પડકાર આપતા કહ્યું કે "જો હિંમત છે તો તેઓ આ જ નિવેદન બેંગ્લુરુ, ચેન્નાઈ કે કોલકાતામાં પણ આપે, ત્યારે સાચી પ્રતિક્રિયાનો અંદાજો લાગી જશે."
CM ફડણવીસનું નિવેદન
આ વિવાદને લઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, "મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ છે અને તે શીખવી જરૂરી છે. અહીં બધી ભાષાઓનું સન્માન કરવામાં આવે છે, પરંતુ મરાઠીની અગત્યતાને ઓછી કરી શકાતી નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર મરાઠી ભાષાને પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છે અને મહારાષ્ટ્રની સંસ્કૃતિનું રક્ષણ કરવામાં આવશે.
મરાઠી અસ્મિતા પર નવો રાજકીય સંગ્રામ
ભૈયાજી જોશીના આ નિવેદને મહારાષ્ટ્રમાં મરાઠી અસ્મિતાની લડાઈને ફરી એકવાર હવા આપી છે. શિવસેના (UBT), મનસે અને મહાવિકાસ આઘાડીના નેતાઓએ તેને મહારાષ્ટ્રની અસ્મિતા પર હુમલો ગણાવ્યો છે અને ભાજપ પાસે આ પર સ્પષ્ટ રુખ માંગ્યું છે. હવે જોવાનું રહેશે કે ભાજપ આ મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો મત રાખે છે કે પછી આ વિવાદ વધુ ઊંડો થશે.